• તા.૮ થી ૩૦મી જૂન સુધી ૨ વર્ષથી વધુ ઉંમરના તમામ સભ્યોની તપાસ કરી મફત સારવાર અપાશે.
  • સુરત જિલ્લામાં ૧૫૨૨ ટીમો, મહાનગરપાલિકા ૪૮૨ ટીમો ઘરે ઘર જઈને બે વર્ષથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓની તપાસ કરવામાં આવશે
  • સુરત જિલ્લામાં રક્તપિત રોગનું પ્રમાણ દર મે-૨૦૨૬ના અંતે ૧૦ હજારની વસ્તી એ ૦.૫૮ છેઃ

સુરત: રાજ્ય આરોગ્ય વિભાગ દ્રારા રાષ્ટ્રિય રક્તપિત નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત સુરત સુરત જિલ્લા તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ‘લેપ્રસી કેસ ડિટેક્ટશન અભિયાન’ની કામગીરી હાથ ધરાશે. આ વિશેષ જનજાગૃતિ અને તપાસ અભિયાન આગામી તા.૦૮મી જૂનથી ૩૦ જૂન-૨૦૨૬ દરમ્યાન આશા બહેનો અને ફીલ્ડ લેવલ પુરુષ વોલેન્ટીયર્સની સંયુક્ત ટીમો દ્વારા પ્રત્યેક ઘરની રૂબરૂ મુલાકાત લઈને બે વર્ષથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓની શારીરિક તપાસ કરવામાં આવશે.
આ કામગીરી માટે સુરત જિલ્લામાં કુલ ૧૫૨૨ ટીમ, સુરત એસ.એમ.સી.માં ૪૮૨ ટીમ તથા તાપી જિલ્લામાં કુલ ૯૨૧ ટીમ દ્વારા ઘરના બે વર્ષથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓની તપાસ કરવામાં આવશે.
આ કામગીરી દરમ્યાન ટીમ દ્વારા પ્રત્યેક ઘરની મુલાકાત લઇ રક્તપિત અંગે લોકોને સમજ આપી ઘરના તમામ સભ્યોની રક્તપિત અંગે શારીરીક તપાસણી કરી રક્તપિતના શંકાસ્પદ દર્દીઓને શોધી, તબીબી અધિકારી દ્વારા નિદાન કરાવી તરતજ સારવાર શરૂ કરવામાં આવશે.
સુરત જિલ્લામાં રક્તપિત રોગનું પ્રમાણ દર મે-૨૦૨૬ના અંતે ૧૦ હજારની વસ્તી એ ૦.૫૮ અને તાપી જિલ્લામાં રક્તપિત રોગનો પ્રમાણ દર ૧૦ હજારની વસ્તીએ ૨.૦૩ નોંધાયુ છે. જ્યારે ગુજરાત રાજ્યનો રક્તપિત રોગનો પ્રમાણ દર ૧૦ હજારની વસ્તીએ ૦.૪૨ છે. માર્ચ-૨૦૨૬ અંતિત ૫ હાઈએન્ડેમિક જિલ્લાઓ (નવસારી, પંચમહાલ, વડોદરા, સુરત અને મહીસાગર) માં રોગનું પ્રમાણ દર ૧ કરતા નીચે લાવી એલિમિનેશનનું ધ્યેય પ્રાપ્ત કર્યું છે. હજુ પણ ૭ હાઈએન્ડેમીક જિલ્લાઓ (તાપી, ડાંગ, ભરૂચ, દાહોદ, વલસાડ, છોટાઉદેપુર અને નર્મદા) માં રક્તપિત રોગનું પ્રમાણદર ૧ કરતા વધુ છે.
ઘણાં સમય સુધી રક્તપિતને અસાધ્ય રોગ માનવામાં આવતો હતો. પરંતુ હવે તેનું નિદાન અને સારવાર સરળ બની છે. કેટલાક લોકો માને છે કે, આ રોગ સ્પર્શ કરવાથી ફેલાય છે. જોકે આ વાત તદ્દન ખોટી છે. રક્તપિત સ્પર્શ કરવાથી ફેલાતો નથી. સંક્રામક રોગ હોવા છતાં પણ સ્પર્શ કરવાથી, હાથ મિલાવવાથી, સાથે ઉઠવા-બેસવાથી ફેલાતો નથી. રક્તપિત્ત વારસાગત નથી કે પૂર્વજન્મ,ના પાપ કે શાપ નું ફળ નથી. પરંતુ આ રોગ ઉધરસ અને છીંક દ્વારા ફેલાય છે.
રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્રારા વર્ષોથી રક્તપિતને નાથવા માટે અનેકવિધ પગલા હાથ ધરવામાં આવ્યા છે. કોરોનાકાળ બાદ વર્ષ ૨૦૨૩-૨૪થી આજદિન સુધી રક્તપિતના વણશોધાયેલ દર્દીઓ શોધવા એકટીવ કેસ ડીટેકશન એન્ડ રેગ્યુલર સર્વે, સ્પર્શ લેપ્રસી અવેરનેશ કેમ્પેઈન, હાર્ડ ટુ રીચ એરીયા કેમ્પેઈન જેવી ખાસ ઝુંબેશ હાથ ધરીને સઘન કામગીરી આરોગ્ય વિભાગ દ્રારા કરવામાં આવી. જેમાં જનરલ હેલ્થ સ્ટાફ અને આશાની ટીમો દ્રારા ઘરે-ઘરે તપાસ કરી રક્તપિત નવા દર્દી શોઘીને ત્વરીત બહુ ઔષઘીય સારવાર હેઠળ મુકી તેઓને રોગ મુક્ત કર્યા છે.
સુરત અને તાપી જિલ્લામા છેલ્લા આઠ વર્ષમા અનુક્રમે ૪૨ અને ૧૩ જેટલી રીકન્સ્ટ્રકટીવ સર્જરી કરી દર્દીઓની વિકૃતિદૂર કરી છે. સુરત અને તાપી જિલ્લામા વર્ષ ૨૦૧૬-૧૭ થી મે-૨૦૨૬ (અંતીત) સુધીમા અનુક્રમે રક્તપિતના કારણે પગમાં બધીરતા ધરાવતાં કુલ-૮૭૯૨ અને ૪૦૧૩ રક્તપિતગ્રસ્તોને માઈક્રો સેલ્યુલર રબર શુઝ (એમ.સી.આર.) આપવામાં આવ્યા છે. જેના કારણે પગમાં બધીરતા ધરાવતાં રક્તપિતગ્રસ્તોને પગમાં ન રૂઝાય તેવા ચાંદા (અલ્સર) થી બચાવી શકાય છે.

આવો જાણીએ રક્તપિત શું છે?

રક્તપિત માઈક્રોબેકટેરીયમ લેપ્રસી નામના સૂક્ષ્મ જીવાણુંથી થતો રોગ છે. આ રોગમાં શરીરની ચામડી અને જ્ઞાનતંતુઓને અસર થાય છે. આ રોગ કોઈપણ ઉમરે સ્ત્રી અથવા પુરુષ એમ બંને જાતિને થઈ શકે છે. સમયસર સારવાર ન કરવામાં આવે તો એક વ્યક્તિ થી બીજી વ્યક્તિને શ્વાસોશ્વાસ મારફતે ચેપ લાગી શકે છે. વહેલુ નિદાન અને નિયમિત બહુઅઔષધિય સારવારથી રક્તપિત રોગનો ફેલાવો અને રોગને લીધે આવતી વિકૃતિ /અપંગતા અટકાવી શકાય છે.

રક્તપિત રોગના ચિન્હો- લક્ષણો

(૧) શરીરના કોઈપણ ભાગમાં આછું, ઝાંખુ, રતાશ પડતું સંવેદના વિનાનું ચાઠું.
(૨) જ્ઞાનતંતુ ઓ જાડા થવા તેમજ તેમા દુ:ખાવો થવો.

રક્તપિતના દર્દીને સારવાર કયાંથી મળે?
રક્તપિતકોઈપણ તબક્કે સંપૂર્ણપણે મટી શકે છે. નજીકના તમામ સરકારી દવાખાના, સબસેન્ટર પ્રાથમિક આરોગય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, રેફરલ હોસ્પિટલ, ડીસ્ટ્ર્રીકટ જનરલ હોસ્પિટલ, ખાતે એમ.ડી.ટી. (મલ્ટી ડ્રગ ટ્રીટમેન્ટ) બહુ ઔષધિય સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે.

Leave a Reply

Discover more from ગુજરાતવાણી

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading