ત્રણ પરિવારોના આંગણે દીકરીઓ સ્વરૂપે લક્ષ્મીજી પધાર્યા ડિંડોલીથી મળી આવેલી ‘હસ્તી’ સહિત ત્રણ માસૂમ બાળકીઓને ભારત સરકારની ‘CARA’ પોર્ટલની કાયદેસર પ્રક્રિયા અને એડોપ્શન રેગ્યુલેશન મુજબ નવા માતા-પિતા મળ્યા: શિશુગૃહની ત્રણ દીકરીઓને કાયદેસરની પ્રક્રિયા બાદ નવા માતા-પિતાનો પ્રેમ મળ્યો: પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સુરત શિશુગૃહની ત્રણ ‘લક્ષ્મી’ઓને ‘કારા’ સિસ્ટમની કાયદેસરની પ્રક્રિયા બાદ નવા પરિવારોને સોંપાઈ: કલેક્ટર તેજસ પરમાર સુરતની સમાજ સુરક્ષા કચેરી અને બાળ સંરક્ષણ ગૃહ (શિશુગૃહ) ખાતે આશ્રય મેળવી રહેલી ત્રણ વ્હાલસોયી દીકરીઓને સ્પેશ્યલ એડોપ્શન એજન્સીના માધ્યમથી સુરત પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગેહલોત અને સુરત જિલ્લા કલેક્ટરશ્રી તેજસ પરમારના હસ્તે તેમના નવા પરિવારોને દત્તક સોંપવામાં આવી હતી. વર્ષોથી સંતાન સુખ માટે આતુરતાથી રાહ જોઈ રહેલા ત્રણ પરિવારોને દીકરીઓનું સુખ મળતા કતારગામ સ્થિત પોપાવાલા અનાથ આશ્રમ ખાતે અત્યંત આનંદ, ગૌરવ અને ઉમંગભર્યા દ્રશ્યો સર્જાયા હતા. આ પ્રસંગે પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે,”રાજ્ય સરકારની કાયદેસરની દત્તક પ્રક્રિયા પૂર્ણ થતાં આ ત્રણેય દીકરીઓને નવા માતા-પિતા મળ્યા છે, જે સુરત શહેર માટે ગૌરવની વાત છે. જ્યારે પણ કોઈ બાળક બિનવારસી હાલતમાં મળી આવે છે, ત્યારે જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ તંત્ર અને શિશુગૃહની ટીમો પરસ્પર સંકલન અને સાવચેતીપૂર્વક સમગ્ર કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને બાળકને નવા પરિવારોને સોંપે છે.તેમણે સમાજને નમ્ર અપીલ કરતાં ઉમેર્યું કે, કોઈ પણ મજબૂરી હોય તો પણ બાળકને કચરાપેટીમાં, ખુલ્લી જગ્યાએ કે તળાવના પાળા પર આવી રીતે તરછોડીને ન જાઓ, કારણ કે તેનાથી માસૂમ બાળકોને જાનનું જોખમ ઊભું થાય છે અને રખડતાં પ્રાણીઓ તેમને નુકસાન પહોંચાડે છે જે અત્યંત આઘાતજનક છે. શિશુગૃહમાં આવા બાળકોની ખૂબ સારી પરવરિશ કરવામાં આવે છે. સુરત જિલ્લા કલેક્ટરશ્રી તેજસ પરમારે દીકરીઓને ‘લક્ષ્મી’ સ્વરૂપ ગણાવતા જણાવ્યું હતું કે, આજે સમાજ સુરક્ષા કચેરી અને બાળ સંરક્ષણ ગૃહ ખાતેથી ત્રણ લક્ષ્મીઓને તેમના પરિવારોને સોંપવામાં આવી છે. આ ત્રણેય દીકરીઓમાંથી ‘હસ્તી’ નામની બાળકી અગાઉ ડિંડોલી વિસ્તારમાંથી પોલીસ તંત્રને મળી આવી હતી, જ્યારે અન્ય બે દીકરીઓ પણ આવી જ રીતે મળી આવી હતી, જેમનો શિશુગૃહમાં ઉછેર કરાયો હતો. તેમણે એડોપ્શન પ્રક્રિયાની વિગતો આપતા જણાવ્યું કે, ભારત સરકારની ‘કારા’ (CARA – Central Adoption Resource Authority) સિસ્ટમ હેઠળ ઓનલાઈન રજીસ્ટ્રેશન બાદ દંપતી બાળકના ભવિષ્ય અને ઉત્તમ ઉછેર માટે સંપૂર્ણ સક્ષમ છે કે નહીં તેની ખાતરી કરીને જ બાળક સોંપવામાં આવે છે.આજે દત્તક ગયેલી દીકરીઓમાં ડિંડોલીથી મળી આવેલી ‘હસ્તી’ને મુંબઈનો એક પ્રેમાળ પરિવાર મળ્યો છે, જ્યારે અન્ય બે દીકરીઓમાંથી એકને કચ્છ-ભુજ અને બીજી દીકરીને સુરતનો જ સ્થાનિક પરિવાર મળ્યો છે. કમિશનરશ્રી અને કલેક્ટરશ્રીએ દત્તક લેનાર દંપતીઓને દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી, તેમજ રાત-દિવસ એક કરી પૂરી નિષ્ઠાથી બાળકોની સંભાળ રાખતી જિલ્લા બાળ સંરક્ષણ અને શિશુગૃહની તમામ ટીમોને હૃદયપૂર્વક અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી કચરીના નાયબ નિયામકશ્રી નિનામા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એલ.બી.પટેલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી વિજય પરમાર, પ્રોટેક્શન ઓફિસર ચિરાગ રામાવત, વિશિષ્ટ દત્તક સંસ્થાના મેનેજરશ્રી કોમલ શાહ,વહિવટીતંત્રની ટીમ, પોલિસ વિભાગની ટીમ સહિત દતક લેનાર પરિવાર ઉપસ્થિત રહ્યાં હતા. Share this: Share on X (Opens in new window) X Share on Facebook (Opens in new window) Facebook Like this:Like Loading… Related પોસ્ટ સંશોધક વરાછા વિસ્તારની હરિધામ સોસાયટીમાં બાળમજૂરી વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઇવ: ૨૩ તરુણ-બાળમજૂરોને મુક્ત કરાવતી જિલ્લા ટાસ્ક ફોર્સ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ₹૩.૬૦ કરોડના ખર્ચે મેડિકલ નોમ્સ મુજબ બનશે અદ્યતન પોસ્ટમોર્ટમ રૂમ